દાગ દેખાતા હતા દૂરથી દિવસના ગાલ પર,
એટલે હસતો રહ્યો અંધાર એના હાલ પર.
આપણે એથી જ એકે યુદ્ધ ના જીતી શક્યા,
કેમ કે આધાર રાખ્યો આપણે બસ ઢાલ પર.
લહેરખીની આંખમાં લુચ્ચાઈ ફૂટતી જોઈને,
પંખીએ મૂકી દીધો માળો અધૂરો કાલ પર.
નાવનો તો આમ જો કે ખાસ કંઈ વાંધો નથી,
પણ ભરોસો ના જ કરતો તું નદીની ચાલ પર.
આજ કરફ્યુગ્રસ્ત હો આખ્ખું નગર તો ના નહીં,
કોરડા વીંઝે છે સૂરજ જો હવાની ખાલ પર.
– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો